Sunday, July 8, 2018

શક્તિ પીઠ

શક્તિ પીઠ 


હિન્દૂ ધર્મ અનુસાર,પુરાણમાં રાજા દક્ષ પ્રજાપતિએ હરિદ્વારમાં બૃહસ્પતિસર્વ નામના યજ્ઞનું આયોજન કર્યું,તેમાં બ્રહ્મા,વિષ્ણુ,ઇન્દ્ર વગેરે સહુ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને અપમાનિત કરવા આમંત્રિત ન કર્યા,એ સમય્ર નારદ ઋષિ નારાયણ નારાયણ નું કીર્તન કરતા,કૈલાશ પર્વત ઉપર દક્ષના પુત્રી તથા શંકર ભગવાનના પત્ની સતી માતા પાસે આવ્યા અને પોતે જાણતા હતા કે દેવાધિદેવને આમંત્રણ નથી છતાં બોલ્યા,
" માતાજી,સહુ તૈયાર થઈને જઈ રહ્યા છે અને આપ હજુ તૈયાર નથી"ત્યારે સતી માતા એ પૂછ્યું,
"શું પ્રસંગ છે,તેની મને ખબર નથી,તો તૈયાર થવાની વાત ક્યાં રહી.?"
તો નારદજી તરત બોલ્યા,
"માતાજી આપના પિતા દક્ષ પ્રજાપતિ મહાન યજ્ઞ કરી રહ્યા છે ત્યાં સહુ જઈ રહ્યા છે ને તમને આમંત્રણ નથી મળ્યું"અને માતાજી બોલ્યા,
"પિતાજી યજ્ઞ કરે અને આમંત્રણની શી જરૂર,હું મહાદેવને જણાવી ત્યાં જવાની તૈયારી કરું છું."
"અવશ્ય દેવી,અહીંથી પસાર થતો હતો એટલે આપના દર્શને આવ્યો તો સારું થયું આપને યજ્ઞ વિષે ખબર પડી,ચાલો તો માતાજી પ્રણામ." એમ કહી નારાયણનું કીર્તન કરતા,ચિનગારી છેડી નારદજીએ  નારાયણ નું કીર્તન કરતા પ્રસ્થાન કર્યું.,સતી માતા સીધા મહાદેવ પાસે ગયા,મહાદેવજીને ખબર હતી હવે સતીને મનાવવા મુશ્કેલ છે,છતાં તેમની વાત સાંભળી ,
"સ્વામી ,પિતાજી મહાન યજ્ઞ કરી રહ્યા છે અને આપણે ત્યાં જવું જોઈએ."મહાદેવે કહ્યું ,
"દેવી,આપને  કોણે કહ્યું?"ત્યારે સતી બોલ્યા,
"નારદ મુનિ,આપણા દર્શનની ઈચ્છાથી અહીં આવ્યા હતા,તો તેમની પાસેથી જાણવા મળ્યું,"મહાદેવ બોલ્યા ,
'સમજ્યો,પરંતુ દેવી આપણને પિતાશ્રીનું આમંત્રણ નથી,તો આમંત્રણ વગર જવું યોગ્ય નથી."તરત સતી બોલ્યા
"સ્વામી,પિતાજીને હું મનાવી લઈશ,કદાચ ભૂલી ગયા હશે."પણ મહાદેવજીએ તરત કહ્યું,
"દેવી,આમંત્રણ વગર જતા અપમાન થશે,અને આમંત્રણ વગર હું નહિ આવું,તમને જવાની છૂટ છે"મહાદેવજીએ સતી માતાને ખુબ સમજાવ્યા પણ ન  માન્યા એટલે જવાની છૂટ આપી અને સાથે નંદીને રક્ષા માટે રહેવાનું કહ્યું,,સતીમાતાનો વિયોગ નિશ્ચિત સમજી મહાદેવજીને સમાધિ લાગી ગઈ.

સતી મહાદેવની મના છતાં પિતાને ત્યાં આવ્યા ,મહા યજ્ઞમાં ભાગ લેવા બ્રહ્મા વિષ્ણુ સિવાય ઘણા દેવી દેવતાઓ આવ્યા હતા,યજ્ઞની વિધિમાં જ્યા ત્રિદેવોને  સ્થાન આપવામાં આવે છે તેમાં બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનું સ્થાન હતું પરંતુ મહાદેવનું સ્થાન ન હતું,તે જોઈ દેવી ખુબ નારાજ થયા,અને પોતાના પિતા ઉપર ગુસ્સે ભરાયા,પોતાના પતિનું અપમાન તેઓ ન સહી શક્યા,એટલામાં  દક્ષ પ્રજાપતિ જાતેજ ત્યાં આવ્યા અને બોલ્યા,
"અહીં તું શા માટે આવી છે,તને તારા પતિની માફક ઘમંડ આવી ગયું છે."ગુસ્સેથી બેકાબુ સતીથી ન રહેવાયું,પોતાના પિતાની ક્રૂરતા ઉપર નફરત કરતા બોલ્યા,
"હું ધારું તો હમણાંજ તમને મૃત્યુ દંડ આપી શકું તેમ છું,પણ હું તેમ નહિ કરું,પરંતુ જે ઘરમાં મારુ પોષણ થયું તે પોષણ પામેલા દેહનો જ હું વિનાશ કરી નાખું છું " અને પલકવારમાં યજ્ઞ કુંડમાં કૂદી પોતાના દેહનો ત્યાગ કર્યો,પોતે જગદંબા હતા દક્ષને પલકમાંજ મારી નાખત પણ પોતાના પતિના અપમાન માટે જે યોગ્ય હતું તે તેમણે કર્યું,સાથે આવેલા નંદીને પણ બચાવ માટે સમય ન મળ્યો,તે માંડ દક્ષથી પોતાની જાત બચાવી મહાદેવ સુધી પહોંચ્યો અને માતાજીના સમાચાર આપ્યા ,

સમાચાર સાંભળી મહાદેવનું ત્રીજું લોચન ઉઘડી ગયું અને પોતાના ગણોને  હુકમ કર્યો દક્ષનો સર્વનાશ કરી નાખો,અને ગણોએ હાહાકાર મચાવી દીધો આવેલા મહેમાનો જીવ બચાવી ભાગી ગયા.ગણોએ દક્ષનો સર્વ નાશ કરી દક્ષનું માથું કાપી નાખ્યું.હવે યજ્ઞ અધૂરો રહેતા દેવોએ ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી,મહાદેવે મહાકાલનું રૂપ લેતા દક્ષના યજ્ઞકુંડમાંથી સતીનો દેહ કાઢી ખભે નાખી ભયંકર ગુસ્સામાં ફરવા લાગ્યા,મૃત્યુનું કાર્ય રોકાઈ ગયું,નવા જન્મો થતા રહ્યા,અને સ્થિતિની ભયંકરતાથી પૃથ્વી પર બધે ત્રાહિ મામ થઇ ગયું,મહાદેવના ગુસ્સાના દાહમાં દુનિયા બળવા માંડી, હવે કોઈ પણ ભોગે મહાદેવને શાંત કરવાની જવાબદારી વિષ્ણુ અને બ્રહ્મા ઉપર આવી ગઈ,વિષ્ણુ ભગવાને સુદર્શનને મહાદેવને ખબર ન પડે એ રીતે સતીના દેહના ટુકડા કરવાનું સૂચન કર્યું,સુદર્શને પોતાના હુકમનું પાલન કર્યું નાના નાના ભાગમાં દેહના ટુકડા કર્યા    જે ભારત માં બાવન જુદા જુદા પ્રાંતમાં પડ્યા અને તે જ્યા પડ્યા ત્યાં સતીમાતાની  શક્તિપીઠ તરીકે   સ્થપાયા જે હાલમાં પણ માનવ માટે કલ્યાણકારી છે.

 સુદર્શનનું કામ પૂરું થયું હવે મહાદેવને શાંત કરવાનું ભગીરથ કામ હતું,મહાદેવજીને દુનિયાની શાંતિ અને ધર્મનું સ્થાન સાચવવા વિનંતી કરી ,કહ્યું
"પ્રભુ,શરુ થયેલો યજ્ઞ સંપૂર્ણ થવો જરૂરી છે,અને તે યજ્ઞનો યજમાન રાજા દક્ષ છે જેનો શિરચ્છેદ થયો છે,
પ્રભુ તેની હાજરી વગર યજ્ઞ પૂરો નહિ થાય,માટે શાંત થાવ."દુનિયાના ક્રમની જવાબદારી ત્રિ  દેવની હોય
દેવાધિદેવ શાંત બન્યા અને દક્ષને બકનું માથું મૂકી જીવિત કરી યજ્ઞ ની પુર્ણાહુતી કરી.
પછી તો સતી માતાનો બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે થયો

હર હર મહાદેવ,
રજુઆત-મહેન્દ્ર ભટ્ટ 
(કથામૃતનાં આધારે).

No comments:

Post a Comment