Monday, April 9, 2018

જલારામ બાપા

જલારામ બાપા 


વીરપુરમાં રહેતા એક શ્રીમાન ધંધાદારી શ્રી પ્રધાન ઠાકર,જેમની ખુબજ ધર્મિષ્ઠ અને માયાળુ પત્ની શ્રીમતી રાજબાઇ ને પુત્રનો જન્મ થયો જેનું નામ બોઘનભાઈ રાખવામાં આવ્યું. તે જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે સંત શ્રી રઘુવીરજી અને બીજા સાથી સાધુઓ વીરપુરમાં આવ્યા,આ સાધુ સંતો દ્વારકાની જાત્રાએ જઈ રહ્યા હતા, તેઓએ વીરપુરના લોકોને ખાવા અંગે કોઈ વ્યવસ્થા માટે પૂછ્યું,એક માણસે કહ્યું તમો પ્રધાન ઠાકરને ત્યાં જાઓ તેઓ તમને જમાડશે,અને તેઓ તેમને ત્યાં ગયા તો પ્રધાન ઠાકર તેમજ તેમના પત્ની રાજબાઈએ તેમનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કર્યું અને હૃદયના ખરા ભાવથી રાજબાઈયે તેમના માટે તરત રસોઈ બનાવી દીધી,અને જેમાંથી સંતો ખૂબ જ સંતોષ પામ્યા,અને રાજબાઈને આશીર્વાદ આપતા કહ્યું

"માતા,હવે તમારું શુભ થવાનું છે,તમારે ત્યાં બીજા પુત્રનો જન્મ થશે તે ખૂબ જ ધર્મિષ્ઠ અને આખા કુટુંબની  ૭૨ પેઢીઓમાં તમારું નામ રોશન કરશે જે ભારતના ઇતિહાસમાં સવર્ણ અક્ષરે લખાશે.આમ આશીર્વાદ આપી સંતો દ્વારકાની જાત્રાએ નીકળી ગયા,થોડા સમય પછી રાજબાઈને બીજા પુત્રનો જન્મ થયો,તેમનું નામ જલારામ રખાયું માં-બાપ તેને ખુબજ ઉમદા રીતે પ્રેમથી લાલન પાલન કરવા લાગ્યા આ પછી ત્રીજા પુત્રનો જન્મ થયો જેનું નામ દેવજી રાખવામાં આવ્યું,

એક વખત એક વૃદ્ધ સંત શ્રી ગિરનારથી પધાર્યા તો શ્રીમતી રાજબાઈએ તેમનું ખૂબ જ સ્વાગત કર્યું અને જમણ માટે કહ્યું,પણ તેમને તો તેમનો બીજો પુત્ર જલારામ અંગે જાણવું હતું તો બહાર રમતા જલારામ ત્યાં આવ્યા અને સંતોને જોઈ તેમને પ્રણામ કર્યા તો સંત શ્રી એ તેના માથા ઉપર હાથ રાખી આશીર્વાદ આપ્યા,અને પૂછ્યું ,
"પુત્ર મને ઓરખ્યો?"ત્યારે જલારામે ફરી દંડવત કર્યા અને સંત અદ્રશ્ય થઇ ગયા રાજબાઈને રઘુવરદાસની જન્મ પહેલાની મુલાકાત યાદ હતી,જેમાં તેમણે રાજબાઈને આશીર્વાદ આપ્યા હતા,ખુબજ ભાવુક થઇ રાજબાઇ પુત્ર જલારામને જોઈ રહ્યા,ત્યારબાદ જલારામને પૂર્વ જન્મની કૈક યાદ થઇ તો તેઓ 'સીતા રામ રામ રામ ' વગેરે બોલવા લાગ્યા તો તેના પિતાને ચિતા થઇ જલાબાપા કઈ સંત ન બની જાય તો તેમણે તેમના નાના ભાઈને બોલાવી કોઈ યોગ્ય વહુ શોધવા કહ્યું. તેમના ભાઈએ એક આટકોટ શહેરમાંથી  સોળ વર્ષની દીકરી કે જે શ્રી પ્રાગજીભાઈ ઠાકરની પુત્રી હતી જેનું નામ વીરબાઈ હતું તે શોધ જલાબાપા માટે ખુબજ યોગ્ય હતી કેમકે વીરબાઈ ખુબજ ધર્મિષ્ઠ અને ઉમદા સ્વભાવની હતી.

લગ્ન પછી વીરબાઈએ પોતાના પતિની દરેક પ્રવુતિ સાથે ખુબજ હૃદયપૂર્વક સાથ આપ્યો જેનાથી જલાબાપાનું કામ ખુબજ સરળ થયું.જલાબાપા જે તેમની પ્રવુતિઓ કરતા તેનાથી લોકો તેમને ખુબજ પવિત્ર ભાવથી ફોલો કરતા,દિવસો વીતતા ગયા અને જલાબાપાની  પ્રવુતિઓ વધુને વધુ પવિત્ર ભાવવાળી થતી ગઈ જો દિલનો ખરો ભાવ હોય તો ભગવાન પણ આપણા ઘરની મુલાકાત લે.

જલારામ તેમના પિતાની દુકાનની  કાળજી લેતા ત્યારે  સાધુ સંતો,ગરીબો માંગણી કરતા, તેમ દુકાનની ચીજો આપી દેતા,દુકાનોની બે લાઈનો હતી બીજા વેપારીઓને આ બિલકુલ ગમતું નહિ.સવારે બીજા વેપારીઓ દુકાન ખોલી સાફ સૂફી કરતા ત્યારે ૧૦- ૧૨ સાધુઓ   ગામમાં આવતા અને ચીજો માટે પૂછતાં  વેપારીઓએ  અનસુની કરી અને  છેલ્લે આવેલી જલારામની દુકાને જાઓ ત્યાં બધું મળશે એમ કહેતા સાધુ ખુશ થઈને જલારામની દુકાને ગયા,જલારામ પણ દુકાન ખોલી સાફ સૂફી કરતા હતા  પણ સાધુઓને જોઈ કામ બંધ કરી હાથ જોડી
 "જય સિયારામ" એમ કહી
"આવો,ક્યાંથી આવો  છો ને હું શું સેવા કરી શકું?" એમકહ્યું, એવા ભાવભર્યા વર્તાવથી સાધુઓ ખુશ થઇ જતા.વૃદ્ધ સાધુએ કહ્યું
"શેઠજી અમે મથુરાથી આવ્યા છીએ અને ગિરનાર જઇયે છીએ,અમારે માટે ખાવાની કેટલીક ચીજ વસ્તુઓની જરૂર છે વ્યવસ્થા કરીં શકશો?"જલારામેં કહ્યું
" મહારાજ ,આ સેવક તમારી ઈચ્છા મુજબ સેવા કરવા હાજર છે. " આ સાંભળી સાધુઓ મોટેથી
"રામજી કી જય" એમ કહી સ્નાન માટે ગયા,વૃદ્ધ સાધુ જલારામ સાથે રહ્યા, અને જોઈતી દાળ ચોખા વગેરે સામગ્રી મેળવી,સાધુ પાસે ઘી માટે  વાસણ ન હતું તો જલારામ દુકાનમાંથી પાંચ શેરની બરણી લાવી તેને ઘી થી ભરી દીધી,અને બધી સામગ્રી સાધુ ઓ ઉંચકી ન શકે તો જલારામે દુકાન બંધ કરીને વસ્તુઓ ઉંચકી તેમની સાથે ગયા.

ફતેહપુર ગામના  કોરીની  નાની મોટી વસ્તુઓ ચોરી કરવાની ટેવ હતી.તે એવો  ચતુર હતો  કે ક્યારેય પકડાતો નહિ.પણ એક વખત વીરપુરના ઠાકોરે પકડી પાડ્યો.તેને જેલભેગો કર્યો.જયારે જલારામે આ  જાણ્યું તો ખબર પડી પકડાયેલો ચોર તેના ગુરુજીના ગામનો હતો તો તેમણે તેના ભાઈ સાથે ચર્ચા કરી ઠાકોરજીના મહેલમાં ગયા,ત્યાં રાજાએ તેમને આવકાર આપ્યો પછી જલારામે કહ્યું.
"બાપુ,ફતેહપુરનો કોળી તમારી જેલમાં છે."તો રાજાએ કહ્યું
"હા ભગત,પણ તેનું શું?"તો જલારામે કહ્યું
"કૈજ નહિ બાપુ પણ તે મારા ગુરુજીના ગામનો છે.એટલે તેનું મારા માટે માંન છે,કૃપા કરી તમે તેને છોડી દો." રાજાએ કહ્યું
"ભગત એ એક મોટો ચોર છે અને ઘણી મુશ્કેલીથી તે પકડાયો છે."તો જલારામે કહ્યું
"હશે ,પણ જો જરૂરત જ હોય તો તેની જગ્યાએ મને જેલમાં બંધ કરો"તો રાજાએ કહ્યું
"તેવું કેવી રીતે બને?"તો જલારામે કહ્યું
"હું તેના બધા દોષ મારે માથે લઉં છું અને તેની જગ્યાએ જેલમાં જવા માંગુ છું"જલારામે તેમના હાથજોડીને વીરપુરના ઠાકોર સામે પોતાની પાઘડી ઉતારી,ઠાકોર એકદમ ઉભા થયા અને બૂમ પાડી
"ઉભા રહો ભગત તમે મને પાપ કરવા દબાણ કરી રહ્યા છો,તમારી ગુરુ પ્રત્યેની લાગણી કેટલી મજબૂત છે તે જોઈ અમારે દંડવત કરવા જોઈએ તમારી હાજરી અમારે માટે ખુબ જ નસીબદાર છે."એમ કહી રાજાએ કોટવાલને બોલાવી કોળીને છોડવાનો આદેશ કર્યો  બાપાએ ઠાકોરને
"આવજો " કહી કોળીને પોતાને ત્યાં લાવી તેને પ્રેમથી ભોજન કરાવ્યું આવી હતી જલારામ બાપાની ગુરુ ભક્તિ.

જલારામ બાપા તેમના સેવા કાર્યના અનુસંધાનમાં પોતાના લગ્ન જીવનથી ખુબ દૂર રહેતા નસીબજોગે પત્ની વીરબાઈમા  તેમના કાર્યમાં તેમનો સદા સાથ આપતા,જ્યારે જલારામબાપા પવિત્ર સ્થળોની જાત્રાએ જતા તો વીરબાઈમા તેમની સાથે જતા,ફક્ત ૧૮  વર્ષની ઉંમરમાં જલારામબાપાએ ફતેહપુરનાં શ્રી ભોજલરામને  ગુરુ તરીકે અપનાવી લીધા અને તેના અનુસંધાનમાં બાપાને રામના નામની ગુરુમાલા અને મંત્ર આપવામાં આવ્યા.અને ગુરુજીના આશીર્વાદથી પૂજ્ય જલારામ બાપાએ પ્રધાન ઠાકરના નામે સદાવ્રત ચાલુ કર્યું,૧૬ વર્ષની ઉંમરે લગ્ન થયા પછી પોતાના પિતા સાથે બિઝનેસ માં સાથ આપતા મોટેભાગે તેઓ સાધુ સંતો ની સેવા માં સમય પસાર કરતા જો કે ઘરગથ્થુ જીવન થી અલગ થઇ જલારામે પોતાના પિતા સાથેના બિઝનેસથી જુદા થઇ તેમના કાકા સાથે રહેવા લાગ્યા અને વીરબાઈએ પુરા સહકારથી પતિનો  સાથ નિભાવ્યો.

એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.

એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને "બાપા" કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોનાં દુઃખ દૂર થઈ જતાં. હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો, દાક્તરો-હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું "જલા સો અલ્લાહ".

એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે.

ભૂતકાળમાં લોકોએ એટલું બધું દાન કર્યું છે કે સંવત ૨૦૦૦ પછી જલારામ વીરપુરના મંદિરના સદાવ્રતમાં કોઈ પણ દાન લેવામાં આવતું નથી,સદાવ્રત એ ૨૪ કલાક ચાલતી વ્યવસ્થા છે સદાવ્રત પહેલા જલારામ બાપા ને લોકોના ખેતરોમાં કામ મળતું અને કામના બદલામાં તેમને જે અનાજ મળતું તે બે માણસ માટે ખૂબ જ હોવાથી પોતાની પત્ની વીરબાઈમાં સામે સદાવ્રત ખોલવાની ઈચ્છા બતાવી જેમાં પોતાના પતિની કોઈ પણ સાથમાં સદા સાથ આપનારી પત્નીની ના કેમ હોય શકે અને આમ સદાવ્રતની સેવા કરતા કરતા પૂજ્ય જલાબાપાએ ૧૮૭૯ માં પોતાની પત્નીનો સાથ ગુમાવ્યો પછી એકલે હાથે સેવા આપતા ફેબ્રુઆરીની ૨૩ તારીખે ૧૮૮૧માં  સંવત ૧૯૩૭ વીરપુર ગુજરાત ખાતે ૮૧ વર્ષની ઉંમરે પ્રાર્થના દરમ્યાન તેમનો સ્વર્ગવાસ થયો.

કહેવાય છે કે આજે પણ જલારામ બાપાનું ખરા હૃદયથી  ધ્યાન લઇ જે મનોકામના  કરવામાં આવે છે તે અવશ્ય પુરી થાય છે  દિવાળી પછી સાતમને દિવસે જલારામ જયંતિ મનાવવામા આવે છે.કારતક સુદ સાતમ, આ દિવસે  વીરપુરમાં મોટો મેળો ભરાય છે.ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ખુબ ધસારો થાય છે,બાપાના મંદિરમાં લખપતિ કે ગરીબ સહુને માટે સેવા એક સરખી ભેદ ભાવ વગરની આપવામાં આવે છે આવા મહાન સંતના પરચા ખુબ જ પ્રસિદ્ધ છે

પૂજ્ય જલાબાપા સહુનું કલ્યાણ કરે


બોલો શ્રી જલારામ બાપાની જય,


રજુઆત મહેન્દ્ર ભટ્ટ (પ્રસિદ્ધ લેખો , પ્રવચનના આધારે)

No comments:

Post a Comment